રિપો રેટમાં ઘટાડો – આરબીઆઈનું સાહસિક પગલું, અર્થતંત્રને નવી ઊર્જા : શંકર ઠક્કર

નવી દિલ્હી, 14 જૂન – ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રિપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો અને કેશ રિઝર્વ રેશિયો (CRR)માં 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે, જે દેશની મંદ થઈ રહેલી અર્થવ્યવસ્થાને બળ આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે આ નિર્ણયને "સાહસિક અને સ્વાગતયોગ્ય" ગણાવ્યો છે.
શ્રી ઠક્કરે જણાવ્યું કે આરબીઆઈનો આ નિર્ણય ઉપભોગમાં વધારો લાવશે, ઉદ્યોગસાહસિકતાને નવો આત્મવિશ્વાસ આપશે અને અર્થતંત્રની ગતિશીલતાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ છે. ખાસ કરીને મુંબઈના ભૂલેશ્વર જેવા વેપારી કેન્દ્રો અને દેશના અન્ય વેપારી હબોને તેનો સીધો લાભ મળશે.
ચાંદની ચોકના સાંસદ અને સંસદીય વાણિજ્ય સ્થાયી સમિતિના સભ્ય શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે રિપો રેટમાં આ પ્રકારનો ઘટાડો આરબીઆઈની નીતિગત લવચીકતા અને વ્યાપાર ક્ષેત્ર માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું કે CRRમાં ઘટાડાથી બેંકોમાં તરલતામાં વધારો થશે, જેને કારણે MSME, લઘુ વ્યાપારી અને રિટેલ ક્ષેત્ર સુધી નાણાંની પહોંચ સરળ બનશે.
તેઓએ નાણાં મંત્રાલય અને આરબીઆઈને આ રાહતના લાભો અંતિમ લોન લેતા લોકોને સુનિશ્ચિત કરવા માટે મોનીટરિંગ મેકેનિઝમ તૈયાર કરવાની અપીલ કરી. તેમનું માનવું છે કે હવે કમર્શિયલ બેંકોની જવાબદારી છે કે તેઓ આ રાહતને વહેલી તકે પ્રસ્તુત નીતિમાં રૂપાંતરિત કરે.
સંપાદકીય ટિપ્પણી:
આર્થિક મંદીની અસરની પૃષ્ઠભૂમિમાં આરબીઆઈનું આ પગલું ચોક્કસ રીતે સકારાત્મક છે. જો આગામી સમયમાં તેનો યોગ્ય રીતે અમલ થાય, તો એ નાના વેપારીઓ અને મધ્યમ ઉદ્યોગોને નવજીવન આપી શકે છે.
What's Your Reaction?






