સિંગાપોર એરલાઇન્સને મર્જર માટે કેન્દ્ર સરકાર પાસેથી એફડીઆઈ મંજૂરી મળી

નવી દિલ્હી: ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેના સંયુક્ત સાહસ વિસ્તારાને, એર ઈન્ડિયા સાથે મર્જ કરવામાં આવી રહ્યું છે. આ માટે સિંગાપોર એરલાઈન્સને, ભારત સરકાર તરફથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ની મંજૂરી મળી છે. સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ, સિંગાપોર એરલાઇન્સ મર્જર કરાર હેઠળ એર ઇન્ડિયામાં 25.1 ટકા હિસ્સો હસ્તગત કરશે.
ઉડ્ડયન કંપની સિંગાપોર એરલાઇન્સે ,શુક્રવારે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેને પ્રસ્તાવિત મર્જરના ભાગરૂપે એર ઇન્ડિયામાં સીધા વિદેશી રોકાણ માટે ભારત સરકાર પાસેથી મંજૂરી મળી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મંજૂરી સાથે, આ મર્જર કરાર આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આ સોદાથી વિશ્વના સૌથી મોટા એરલાઈન જૂથોમાંથી એક બનવાની અપેક્ષા છે.
દરમિયાન, દેશની ત્રીજી સૌથી મોટી એરલાઇન વિસ્તારાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે તેની બ્રાન્ડ હેઠળ છેલ્લી ફ્લાઇટ 11 નવેમ્બર, 2024ના રોજ ઓપરેટ કરશે. વાસ્તવમાં આ એટલા માટે છે, કારણ કે સિંગાપોર સ્થિત એરલાઇનનું એર ઇન્ડિયા સાથે મર્જરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે એર ઈન્ડિયા 12 નવેમ્બર, 2024થી વિસ્તારાની તમામ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ માટે ટિકિટ બુકિંગ પણ એર ઈન્ડિયાની વેબસાઈટ દ્વારા કરવામાં આવશે. ટાટાની આગેવાની હેઠળના એર ઈન્ડિયાના વડા કેંપબેલ વિલ્સને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નિયમનકારી મંજૂરી મળ્યા બાદ વિસ્તારાના વિમાનો અને ક્રૂ, 12 નવેમ્બરે એર ઈન્ડિયામાં જોડાશે.
What's Your Reaction?






