એસ.પી.એન.એફ. એસોસિએશનના રાજ્યના સંયોજકો સાથે રાજ્યપાલની રાજભવનમાં બેઠક

ગાંધીનગર : પ્રાકૃતિક ખેતી સફળ ખેતી પદ્ધતિ છે, વિજ્ઞાન છે. સુખનો માર્ગ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્યમાં પ્રવૃત્ત અને પ્રયત્નશીલ સ્વૈચ્છિક સંગઠન સસ્ટેનેબલ પ્રોગ્રેસિવ નેચરલ ફાર્મિંગ એસોસિએશનના રાજ્ય સંયોજકોને સંબોધતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રેરિત કરવા તે પરોપકારનું કામ છે. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની સાથે સાથે દેશી ગાયનો ઉછેર કરીને તેની નસલ સુધારણાના પ્રયત્નોમાં પણ લાગી જવું જોઈએ. આમ કરવાથી પ્રાકૃતિક ખેતી સમૃદ્ધ થશે અને દૂધ ઉત્પાદનથી આવક પણ વધશે.
એસ.પી.એન.એફ. એસોસિએશનના રાજ્ય સંયોજકો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ રાજભવનમાં બેઠક કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રના આગેવાનોને સંબોધતાં કહ્યું હતું કે, ખેડૂતો બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક; આ પાંચ આયામો યોગ્ય રૂપે અપનાવીને પ્રાકૃતિક ખેતી કરે તો સંપૂર્ણ સફળતા મળશે જ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પંચસ્તરીય પદ્ધતિ અપનાવે તો સમૃદ્ધિ નિશ્ચિત છે. તેમણે ખેડૂતોને યોગ્ય તાલીમ મળે અને તેઓ પ્રાકૃતિક ખેતી કરતા થાય ત્યાં સુધી સતત તેમની સાથે રહીને તેમને માર્ગદર્શન મળતું રહે એવી વ્યવસ્થા વધુ સઘન અને સુદ્રઢ કરવા સ્વૈચ્છિક સંગઠનના સંયોજકોને અનુરોધ કર્યો હતો.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી મિશનને રાષ્ટ્રવ્યાપી બનાવવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ મોડેલ આખા દેશ માટે ઉદાહરણ રૂપ બને એ માટે સંપૂર્ણ સમર્પણ ભાવથી, પ્રમાણિકતા પૂર્વક પ્રયત્નો કરીને વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવા જોઈએ. તેમણે કહ્યું કે, હું ખેડૂતના ઘરમાં જન્મ્યો છું, ખેડૂતની પ્રત્યેક સમસ્યાને હું નજીકથી જીવ્યો છું એટલે જાણું છું. પ્રાકૃતિક ખેતી એ ભગવદ્ ગીતાની માન્યતાઓનું સાક્ષાત વ્યવહારિક સ્વરૂપ છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ સમયની માંગ છે.
એસ.પી.એન.એફ. એસોસિએશનની બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે સંગઠનની કોર કમિટીના સદસ્યો, ઝોન-જિલ્લા સંયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર માટે આ સંગઠન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ સંગઠનના તમામ કર્મીઓ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવામાં પાયાના પથ્થરો છે. વિદ્યા સર્વનું કલ્યાણ કરનારી હોવી જોઈએ અને શિષ્યને યોગ્ય વિદ્યા શીખવી શકે એ જ ગુરુ મહાન કહેવાય છે. રાજયપાલ એ સંગઠનના તમામ સદસ્યોને ગુરુની ભૂમિકા ભજવીને વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી જમીનની ગુણવત્તા વધવા ઉપરાંત પાણી, હવા અને પર્યાવરણ શુદ્ધ થાય છે. એટલે કે, પ્રાકૃતિક કૃષિથી સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય છે.
આ અવસરે સંગઠનના મંત્રી દીક્ષિતભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં સંગઠન વિશે વિગતો આપી હતી. મહેશભાઈ સોલંકીએ સંગઠનનો નાણાકીય અહેવાલ રજૂ કર્યો હતો. નિકુંજભાઈ ઠાકોરે વિવિધ સમિતિઓની માહિતી આપી હતી. અચ્યુતભાઈ પટેલે સંગઠન વિશે જણાવીને વધુમાં વધુ લોકોને સંગઠનમાં જોડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હિતેશભાઈ વોરાએ સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.
આ બેઠકમાં રાજ્યપાલ ના અગ્ર સચિવ અશોક શર્મા, પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટીંબડીયા, કૃષિ વિભાગના સંયુક્ત સચિવ પી.ડી.પલસાણા, આત્મા ડાયરેક્ટર સંકેત જોષી સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યમાં એસ.પી.એન.એફ. એસોસિએશનના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






